
જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે આજરોજ જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારોએ મફતીયાપરા વિસ્તારના જાહેર રસ્તાની બન્ને બાજુ આવેલા દબાણો દૂર કરવા બાબત, વેલણ સાંથણીમાં ફાળવાયેલ જમીનની માપણી, રેકર્ડમાં ખોટી રીતે નામ રદબાતલ કરવા, તાલાલાના ગીરીનામા ચોક તથા જાહેર રસ્તાઓ પરથી અનધિકૃત દબાણ દૂર કરવા, કેસરીયા ગામે ધણશેર નામે ઓળખાતા રસ્તામાં મેટલ કામ, માપણીની પ્રક્રિયા, કોઇપણ પ્રકારની પરવાનગી લીધા વગર બનાવવામાં આવેલ રસ્તાઓ, ગેરકાયદેસર બાંધકામ, વીજકામ, ગૌચર જમીન પરનું દબાણ દૂર કરવા, જમીનની માપણી, ગેરકાયદેસર બાંધકામ વગેરે જેવા પ્રશ્નોની રજૂઆત કરી હતી.
અરજદારોના તમામ પ્રશ્નો અને મુશ્કેલીઓને ધ્યાનથી સાંભળી કલેકટરશ્રીએ સંલગ્ન વિભાગના સંબંધિત અધિકારીઓને જરૂરી સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરશ્રીએ અરજદારોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે અને સમયમર્યાદામાં નિકાલ થાય એ દિશામાં નિયમોનુસાર ઝડપી કામગીરી કરવા માટે શીર્ષ અધિકારીશ્રીઓને તાકિદ કરી હતી.